રણના હ્રદયમાં ઝાંકવાનું મન થયું હતું,
મૃગજળ તમામ ચાખવાનું મન થયું હતું.
લક્ષ્મણને શી ખબર કે રેખા દોરવાથી શું ?
મૃગને જ્યાં હૈયે ચાંપવાનું મન થયું હતું.
આ તારા સ્મરણ-પુષ્પના સૌગંદ છે મને,
આ મ્હેંકને મહેંકાવવાનું મન થયું હતું.
આકાશને ય કાશ એની થઈ જતે ખબર,
સૂરજને રાત રાખવાનું મન થયું હતું.
એ ઠીક કે ‘બેતાબ’ રાશ આવ્યો અંધકાર,
નહિંતર સૂરજને બાળવાનું મન થયું હતું.
– રિષભ મહેતા ‘બેતાબ’